જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પરિક્રમા બંધ રહેવાના કારણે ભાવિકોની આસ્થાને મોટો આંચકો લાગ્યો છે પરંતુ, ગિરનારી બાપુની કૃપા મેળવવાની ઇચ્છા ભક્તોમાં ઓછી થઈ નથી. ઘણા ભાવિકોએ પરિક્રમા રૂટ પર જવાને બદલે ગિરનાર પર્વત ચડવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, ગિરનાર પર્વત ચડવા માટેના પગથિયાં પર ભાવિકોનું ધોડાપૂર ઉમટ્યું છે અને ભારે ભીડ જોવા મળી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે જાહેર જનતા માટે સ્થગિત કરવાનો વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ સત્તાવાર નિર્ણય લીધો છે. દર વર્ષે ગિરનાર જંગલના 36 કિલોમીટરના કઠિન માર્ગ પર યોજાતી આ મહા પરિક્રમા માટે આ વર્ષે વરસાદે વિઘ્ન ઊભું કર્યું છે, જેના કારણે રૂટના રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ જઈને કાદવ-કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયા છે. આ સ્થિતિ ભાવિકોની સુવિધા અને સલામતી માટે અત્યંત જોખમી હોવાથી આ નિર્ણય લેવાયો છે.
શ્રદ્ધાળુઓએ માત્ર એક દિવસ માટે પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરાંત જો પરવાનગી ન મળે તો ઘણા શ્રદ્ધાળુઓએ પ્રતીકાત્મક રીતે ગિરનાર પર્વત ચડીને પોતાની યાત્રા પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તંત્ર દ્વારા ભવનાથ ક્ષેત્રમાં આવેલો પરિક્રમાનો પ્રવેશદ્વાર, ઈટવા ગેટ, બંધ કરી દેવાયો હતો અને પોલીસ તેમજ વન વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે તેમ છતાં, લાખો શ્રદ્ધાળુઓ હજી પણ પરિક્રમા શરૂ થશે તેવી આશા સાથે ભવનાથ ક્ષેત્રમાં આવી રહ્યા છે.
ભક્તોના કહેવા મુજબ ગિરનારની લીલી પરિક્રમા માત્ર આસ્થાનું જ નહીં, પણ હજારો સેવાભાવી સંસ્થાઓ માટે સેવાનો અવસર છે. પરિક્રમા સ્થગિત થવાની ગંભીર અસર અન્નક્ષેત્રો, ઉતારા મંડળો અને સેવાકીય સંસ્થાઓ પર પણ પડી છે. ભાવિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હોવા છતાં, ગિરનારી બાપુ પરની આસ્થા અકબંધ છે અને ઘણા શ્રદ્ધાળુઓ હજુ પણ આશા સેવી રહ્યા છે કે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા ઓછામાં ઓછા એક દિવસ માટે પણ પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવશે.

