અમદાવાદ: આગામી 9થી 11 ઓક્ટોબર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન 11 ઓક્ટોબરે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ.712 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં રૂ.71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 10 માળની આ હોસ્ટેલમાં 2 બેઝમેન્ટ અને 176 રૂમ અને સેન્ટ્રલ લાયબ્રેરી વિથ મ્યૂઝિયમ છે. તે સિવાય હૃદયની અદ્યતન સારવાર માટે રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે. તેમાં હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેનું કેન્દ્ર, કૃત્રિમ હૃદય અને ફેફસા તરીકે કામ કરતું મોબાઇલ ઇસીએમઓ, વીએડી, સીઆરઆરટી મશીન, હૃદયની સર્જરીની તાલીમ લેતા તબીબો માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન કાર્ડીયાક કેથ લેબ, રોબોટિક કાર્ડિયાક સર્જરી સિસ્ટમ,મીનીમલ ઇન્વેસીવ કાર્ડિયાક સર્જરી, ટેલી આઈ.સી.સી.યુ. (પેપેર લેસ આઈ.સી.યુ.) કુલ ૧૫૦ ક્રીટીકલ કાર્ડીયાક બેડ, કોરોનરી ગ્રાફ્ટ –ફ્લોર મેઝરમેન્ટ મીટર, આર.એફ. એબ્લેશન મશીન, હોમોગ્રાફ વાલ્વ બેન્ક, મધર મિલ્ક બેન્ક, સ્લીપ લેબ, કાર્ડિયાક રિહેબિલિટેશન સેન્ટર, અપ ટુ ડે સોફ્ટવેર, 3 ટેસ્લા કાર્ડિયાક એમઆરઆઇ મશીન, બ્લડ સેન્ટર અને 3ડી/4ડી કાર્ડિયાક ઇકો મશીન સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે.
અસારવા ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝેસ એન્ડ રિસર્ચ સેન્ટર(આઈકેડીઆરસી)ની નવી હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. રૂ.408 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં 850 બેડની સુવિધા છે. તે સિવાય 22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 આઇસીયુ, આધુનિક લેબોરેટરી અને એકસાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા હશે. તે સિવાય મેડિસીટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની રૂ. 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ કરવામાં આવશે. તેના લીધે જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થઇ જશે અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થઇ જશે. અહીં લેબોરેટરીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ મશીનની સુવિધા આપવામાં આવી છે. બિલ્ડિંગમાં લાઇબ્રેરી, 317 સીટીંગ ક્ષમતાનું ઓડિટોરિયમ, ટેલિમેડિસીન રૂમ, બોર્ડ રૂમ તેમજ કેન્ટીન સહિતની સુવિધાઓ મળશે.
ગુજરાત અને રાજ્ય બહારથી આવતા ગરીબ દર્દીઓના પરિવારજનોની સુવિધા માટે રૈન બસેરાનું ભૂમિ પૂજન કરવામાં આવશે. રૂ. 39 કરોડના ખર્ચે 5800 ચોરસ મીટર વિસ્તારમાં આ રૈન બસેરાનું નિર્માણ કરવામાં આવશે.