અમદાવાદ : BJP ની ઉમેદવારો જાહેર કરવાની કવાયતને પગલે બે દિવસ ગુજરાત ભાજપ દ્વારા સોમવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ભાજપના વિવિધ અગ્રણી હોદ્દેદારો દ્વારા વિવિધ લોકસભા મત વિસ્તારમાં જઈ સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી. લગભગ બેઠકો માટે ભાજપમાં ટિકિટને લઈ પડાપડી જોવા મળી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી ગત વખતે લડેલી બેઠક ગાંધીનગર પર કોઈએ દાવેદારી ન નોંધાવી અને સર્વાનુમતે અમિત શાહને આ બેઠક પરથી રીપિટ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ સોમવારની બપોરે ત્રણ વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. ગાંધીનગર લોકસભામાં માત્ર 5 જ મિનિટમાં સેન્સ પ્રક્રિયા પૂરી થઈ, એક જ અવાજે સૌ કોઈએ અમિત શાહને જ ઉમેદવાર તરીકે જાહેર કરવા રજૂઆત, અન્ય કોઈ પણ વ્યક્તિએ દાવેદારી ન કરી, તો એવામાં 26 માંથી એક બેઠક પર ભાજપની દાવેદારી નક્કી થઇ ચુકી છે. અને સર્વાનુમતે અમિત શાહને આ બેઠક પરથી રીપિટ કરવામાં આવશે. લગભગ બેઠકો માટે ભાજપમાં ટિકિટને લઈ પડાપડી જોવા મળી હતી.
અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયામાં અમદાવાદ પૂર્વના સાંસદ ડોક્ટર હસમુખ પટેલે પોતાની દાવેદારી ફરીથી નોંધાવી છે. આ ઉપરાંત નરોડાના પૂર્વ ધારાસભ્ય બલરામ થાવાણી, મણિનગરના પૂર્વ ધારાસભ્ય પટેલ, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના પૂર્વ ચેરમેન બાબુ ઝડફિયા સહિતના નેતાઓની દાવેદારી કરાઈ છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નામ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મહેસાણા લોકસભા બેઠક પરથી 20થી વધુ લોકોએ બાયોડેટા આપ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા થઈ રહેલા એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકસભા મહેસાણા બેઠક માટે ટિકિટ માંગી છે. આ માટે નીતિનભાઈના પર્સનલ પી.એ બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે સેન્સપ્રક્રિયા શરૂ કર્યા પહેલા કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મહાનગરપાલિકાઓના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ મેયર સાથે પ્રદેશ ભાજપ-પ્રમુખ સામેલ થયા હતા. આ બેઠક બાદ અચાનક સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા હતા.