અમદાવાદ : શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અને એક ઇન્વેસ્ટમેન્ટ કંપની ધરાવતા દંપતિએ IPOમાં પ્રતિ માસ નવ ટકા સુધીના વળતરની ખાતરી આપીને અનેક રોકાણકારો સાથે રૂપિયા 42 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ CID ક્રાઇમ દ્વારા નોંધવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નિકોલમાં આવેલા નરનારાયણ ડુપ્લેક્સમાં રહેતા જલ્પીનભાઇ ભીમાણીએ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લાં પાંચ વર્ષથી મણિનગરમાં આવેલી એક ટ્રેડિંગ એજન્સીમાં નોકરી કરતા જીગર તુલીના સંપર્કમાં હતા. જે શેરબજારમાં રોકાણની ટીપ્સ આપતા હતા. ડિસેમ્બર 2021માં તેણે નોકરી છોડીને ટેનસ્કોપ મેનેજમેન્ટ નામની કંપનીની સ્થાપના કરી હતી. જેમાં જીગર તુલી અને તેની પત્ની સપના તુલી ડિરેક્ટર હતા.તેમણે જલ્પીનભાઇને તેમની કંપનીમાં IPOમાં રોકાણ કરવાની સામે ઉંચા વળતરની ખાતરી આપી હતી.
જેમાં શરૂઆતમાં નાની રકમના રોકાણની સામે વળતર મળતા જલ્પીનભાઇને વિશ્વાસ વધ્યો હતો અને ત્યારબાદ તેમણે રોકાણની અલગ અલગ સ્કીમ અંગે સમજણ આપીને જલ્પીનભાઇ પાસે તેમજ અન્ય લોકોને લાલચ આપીને ૩૮ જેટલા રોકાણકારો પાસે વિવિધ IPOમાં 74 કરોડ ઉપરાંતનું રોકાણ કરાવ્યું હતું. જો કે નક્કી કર્યા મુજબનું વળતર આપતા નહોતા. જેથી રોકાણકારોએ વળતરની માંગણી કરતા 12 કરોડ પરત કર્યા હતા.
રોકાણકારોને વિશ્વાસ આવે તે માટે આરોપી દંપતિ કંપનીના લેટરપેડ પર લેખિતમાં ખાતરી આપતું હતું. આ સમગ્ર કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના નિકોલમાં આવેલા નરનારાયણ ડુપ્લેક્સમાં રહેતા જલ્પીનભાઇ ભીમાણીએ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
રોકાણકારોના IPOના નફાને બાદ કર્યા પછીની 42 કરોડની રકમ ચુકવી નહોતી. બીજી તરફ જ્યારે રોકાણકારોએ નાણાંની માંગણી કરી ત્યારે જીગર તુલીએ તેમને ધમકી આપી હતી. આ અંગે ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.