અમદાવાદ: અમદાવાદના વિકાસમાં વધુ એક કલગીનો ઉમેરો થશે. નરોડા પાટિયા ઉપર ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ ઓવરબ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર અને AMC દ્વારા અપાઈ છે અને ટૂંક સમયમાં તેનું ભૂમિપુજનપણ થવા જઈ રહ્યું છે.
નરોડા પાટિયા પર બનનાર ઓવરબ્રિજ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ ગણાશે. આધુનિક ડિઝાઈન સાથે આ બ્રિજ 165 કરોડના ખર્ચે નરોડા પાટીયા જંક્શનથી નરોડા ગેલેક્ક્ષી ક્રોસ રોડ સુધી બનશે. કુલ 3 Km લાંબા બ્રિજથી અમદાવાદના લોકો સીધા જ હિંમતનગર અથવા રાજસ્થાન જઈ શકશે. બ્રિજ ઉપર ચડવા અને ઉતરવા માટે એક્ઝીટ પણ આપવામાં આવશે. બ્રિજ બનવાથી 2 થી 2. 5 કલાકનો ટ્રાફિકમાં લાગતો સમય પણ બચી જશે.
તમને જણાવી દઈએ કે નરોડા પાટિયાથી દરરોજ અહીંથી અંદાજિત 1.5 -2 લાખ વાહનો અહીંથી પસાર થાય છે. અગાઉ છેલ્લા ઘણા વર્ષોથી મનપાના બજેટમાં નરોડા પાટિયા બ્રિજનું કામ કેરી ફોરવર્ડ થઇ રહ્યું હતું. પરંતુ આખરે તે સુખનો દિવસ આવી ગયો.
ઉલ્લેખનીય છે કે, શહેર હવે દિવસિને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. સાથે સાથે શહેરમા ટ્રાફિક સમસ્યા પણ એટલી જ વિકટ બની રહી છે. બીજી બાજુ શહેરમા વર્ષે દહાડે રોડ પર લાખો વાહનોનો ઉમેરો થતો જાય છે. શહેરના રસ્તાઓ હવે વાહનો માટે સાંકળા બની રહ્યા છે. ત્યારે આ ઓવરબ્રિજ ઘણા મહત્વપૂર્ણ બની રહેશે.
નરોડા પાટિયા જંક્શનથી નરોડા ગેલેક્સી ક્રોસ રોડ સુધી ઓવર બ્રિજ નીચેથી ત્રણ જંક્શન પસાર થશે. નરોડા પાટિયા જંકશન, નરોડા દેવી સિનેમા અને નરોડા ગેલેકક્ષી ક્રોસ રોડ ત્રણ જંક્શન ઉપરથી આ બ્રિજ પસાર થશે.