અમદાવાદ : અમદાવાદ શહેરમાં AMC દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બાળકો માટે આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં ગરીબ પરિવારોના બાળકો માટે આંગણવાડીઓ આશિર્વાદ સમાન બની રહી છે. હવે AMC ના સત્તાધિશો દ્વારા 100 જેટલી આંગણવાડીઓને રમકડાં સહિત અન્ય સુવિધા સાથે સ્માર્ટ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ 16 આંગણવાડીઓ સ્માર્ટ બનાવી દેવામાં આવી છે. જ્યારે 19 જેટલી આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાનું કામ ચાલુ છે. અને બાકીની આંગણવાડીઓને તબક્કાવાર સ્માર્ટ બનાવી દેવામાં આવશે.
AMC સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ સ્માર્ટ આંગણવાડીની વિગતો આપતાં કહ્યું કે, આ એનજીઓએ હાલ 16 આંગણવાડીની કાયાપલટ કરી દીધી છે અને તેમાં ગરીબ બાળકોને આવવુ તથા રમવુ ગમે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા આયોજનથી આંગણવાડીનુ વાતાવરણ બદલાઇ ગયુ છે અને બાળકો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.
આથી યુવા અનસ્ટોપેબલ નામની એનજીઓ સાથે મળીને શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી 100 જેટલી આંગણવાડીને પણ આધુનિક અને સ્માર્ટ બનાવવાનુ આયોજન કર્યુ છે. જેના માટે સીએસઆર ફંડનો ઉપયોગ કરવામાં આવશે, તેનાથી મ્યુનિ.તિજોરી ઉપર વધારાનુ કોઇ ભારણ પડવાનુ નથી તેમ સ્ટે.કમિટી ચેરમેને જણાવ્યું હતું.
100 આંગણવાડીને આકર્ષક રંગરોગાન, રમતગમતનાં સાધનો, રમકડા, સ્માર્ટ ટીવીથી સજ્જ કરવામાં આવશે. તદઉપરાંત સેનિટેશન રિનોવેશન, પાણી, એજ્યુકેશનલ પેઇન્ટીંગ, પ્લે ગ્રાઉન્ડ, ધાબા ઉપર વોટર પ્રુફિંગ, આંગણવાડીમાં અંદર જરૂરી રિપેરીંગ, પીવીસી કે વુડન ફ્લોરીંગ અને નવુ ઇલેકટ્રીક વાયરીંગ, સાધનો લગાવાશે.