અમદાવાદ : હાલમાં જ રાજ્યના IAS IPS અધિકારીઓની બદલી અને પોસ્ટીંગના ઓર્ડર કરવામાં આવ્યા છે. તેવામાં છેલ્લાં ઘણાં દિવસોથી અમદાવાદના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીની ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં તમામ ચર્ચાઓ અને અટકળોનો ટૂંક સમયમાં અંત આવી શકે છે. પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા ટૂંકા સમયગાળામાં બદલીની યાદી જાહેર કરશે. તેવામાં શહેરના ક્રિમ પોલીસ સ્ટેશન મેળવવા માટે અમુક પોલીસ ઈન્સ્પેક્ટર હવાતિયા મારતા હોય તેવી સ્થિતી સર્જાઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદનાં વટવા, વટવા જીઆઈડીસી, નારોલ, વાડજ, સાબરમતી, રાણીપ, નવરંગપુરા, કારંજ, શાહપુર, ગાયકવાડ હવેલી, દરિયાપુર, ઈસનપુર, દાણીલીમડા તેમજ ટ્રાફિકના અમુક પોલીસ સ્ટેશના પીઆઈની બદલીઓ કરવામાં આવી શકે છે. પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ બદલીઓ શહેર પોલીસ કમિશનર રજા પરથી પરત આવ્યા ત્યારે કરવાની હતી, પરંતુ અમુક કારણોસર કરવામાં આવી ન હતી. તેવામાં આગામી એક સપ્તાહમાં આ બદલીનો ઓર્ડર કરી દેવાય તેવી પુરી શક્યતાઓ સેવાઈ રહી છે.
અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને એક જ પોલીસ મથકમાં લાબો સમયગાળો થઈ ગયો હોય અને પોલીસ વિભાગમાં એક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર એક બે વર્ષથી લાંબો સમય ફરજ બજાવે બાદમાં બદલીને અન્ય પોલીસ મથકે મુકી દેવામાં આવે છે તેવામાં આ જ થીયરીના આધારે અમદાવાદમાં બદલીઓ કરવામાં આવનાર છે. જોકે શહેરના ઈસનપુર અને દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબી દ્વારા પાડવામાં આવેલા દરોડાના કારણે પીઆઈની બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
અમદાવાદનાં પૂર્વમાં આવતા અનેક મનપસંદ મલાઈદાર પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી શકે છે. તેવામાં તે પોલીસ સ્ટેશનમાં બદલી મેળવવા માટે પોલીસ ઈન્સ્પેક્ટરોમાં પડાપડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, બીજી તરફ મનપસંદ મલાઈદાર પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરજ બજાવી રહેલા પીઆઈની અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી થઈ જશે તેવી ચીંતા સતાવી રહી છે.
શહેરના મનપસંદ મલાઈદાર પોલીસ સ્ટેશન માટે તો અમુક અધિકારી એડિચોટીનુ જોર લગાવી રહ્યા હોય તેવો માહોલ છે પરંતુ પોલીસ કમિશનર દ્વારા અગાઉ પણ બદલીઓ કરીને તમામને ચોંકાવી દીધા હતા તેવામાં આ વખતની બદલીમાં પણ નવાજુની જોવા મળી શકે છે. તેવામાં પોલીસ કમિશનરની આગેવાની કામ કરતી પીસીબી સ્કવોર્ડના પીઆઈ બનવા માટે પણ અમુક પોલીસ ઈન્સ્પેક્ટર સપના જોઈ રહ્યા છે. તેવામાં પોલીસ કમિશનર દ્વારા બદલીની લીસ્ટ તૈયાર કરી દેવામાં આવી હોય અને ગમે તે સમયે જાહેર કરવામા આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા દ્વારા અનેક પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી અને અન્ય જિલ્લામાંથી આવેલા પીઆઈને પોલીસ મથકોની જવાબદારી સોંપી હતી. પોલીસ કમિશનર જી.એસ મલિકને અમદાવાદ સી.પી તરીકેનો ચાર્જ લીધાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે, તેવામાં જે પોલીસ ઈન્સ્પેક્ટરો તેમના આવ્યા પહેલાથી અથવા તો લાંબા સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવે છે તેવા પીઆઈની બદલી કરવામાં આવી શકે છે.