અમદાવાદ : શહેરી તેમજ છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબર મહિનાના આખરમાં આવનાર દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને, શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં જવા માંગતા મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે ખાસ આયોજન કર્યું છે. દિવાળીના તહેવારોમાં, એસટી નિગમ 8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરશે. જેના દ્વારા આશરે 3.75 લાખ મુસાફરોની આવન જાવન થવાની સંભાવના છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દૈનિક 8000થી વધુ બસો, 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરીકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ખાસ 8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સેવાઓનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. એસ.ટીમાં મુસાફરી કરતા મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. 1800-233-666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.
અત્રે ઉલેખ્ખનીય છે કે, એસટી નિગમના સુરત વિભાગ દ્વારા તા. 26 થી તા. 30ઓક્ટોબર 2024 દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની 2200 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.