અમદાવાદ : અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ બાદ (19 ઓક્ટોબર) રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. સરકારી કચેરીમાં ટુ-વ્હીલર લઈને આવતા કર્મચારીએ હેલ્મેટ નહિ પહેરેલ હોય તો પ્રવેશ નહિ આપવામાં આવશે નહિ. આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. આ કામ માટે કચેરીમાં પોલીસની જરૂર હશે તો તેની પણ ફાળવણી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.
મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ મુજબ નિયમ-૧૨૯ હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
1. સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજીયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.
2. આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
3. ઉક્ત વ્યવસ્થા માટે, જરુર જણાય તો, પોલીસ ખાતા/સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર પરિપત્ર જાહેર કરાયો હતો. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીને હેલ્મેટ પહેરવા સૂચના અપાઈ હતી. અમદાવાદ પોલીસ વિભાગના કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતી વખત નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ. પોલીસ અધિકારીને તેમની નીચેનો સ્ટાફ હેલ્મેટ પહેરી છે કે નહિ તેની ચકાસણી કરાશે. તેમજ હેલ્મેટ પહેર્યા વગર આવનારા કર્મચારીને કચેરીમાં પ્રવેશ નહિ અપાય. સાથએ જ હેલ્મેટ વગરના કર્મચારીઓ વિરૂદ્ધ એમ.વી એક્ટ ની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું હતું.