અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા નમાઝ અદા કરવાને મુદ્દે થયેલ હિંસા બાદ યુનિવર્સિટીએ કડક પગલાં લીધા છે. સાત વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ હાથ ધરતા સાત વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રહેતા હોવાની વિગતો સામે આવી હતી.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડની ઘટનામાં બાદ યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સીટી દ્વારા NRI વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાના આદેશ કરાયો હતો. તેમજ જૂની હોસ્ટેલમાંથી નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ NRI વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને જરૂરી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ બનાવ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે.જેમાં સાત પૈકી ચાર વિધાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઇ ગયેલ હોઈ અને બાકીના ત્રણ વિધાર્થીઓનો અભ્યાસ ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે. જેથી આ વિધાર્થીઓને હોસ્ટેલ છોડી પોતાના દેશ જવા માટે સૂચના આપવામાં આવી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. તેમજ આ વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થી તરીકે હોસ્ટેલમાં રહેતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે નમાજ મુદ્દે થયેલા હુમલાને લઈ યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ગત તા. 17 માર્ચનાં રોજ રાત્રીનાં સુમારે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટોલમાં ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પઢી રહ્યા હતા. તે દરમ્યાન કેટલાક લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ કરી હતી. જે બાદ મામલો મારા મારી સુધી પહોંચ્યો હતો. જે બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તાત્કાલીક તપાસનાં આદેશ આપ્યા હતા. તેમજ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ધરપકડ પણ કરવામાં આવી હતી.